જામનગર: 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ

  • July 22, 2026 08:26 AM 

જામનગર: 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ

વિભાપર ગામે ડિસ્ટોશિયાના જટિલ કેસમાં બે કલાકની જહેમત બાદ સફળ પ્રસૂતિ કરાવાઈ

જામનગર જિલ્લાના વિભાપર ગામે એક ગાયને પ્રસૂતિ દરમિયાન ગંભીર જટિલતા (ડિસ્ટોશિયા) સર્જાતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમે સમયસર સ્થળ પર પહોંચી કુશળ સારવાર દ્વારા ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ ગાય અને વાછરડું બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

વિભાપર ગામના પશુપાલક બુધાભાઈ ધ્રાંગિયાની ગાય ગઈ રાતથી પ્રસૂતિની પીડામાં હતી. રવિવારના દિવસે અન્ય સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પશુપાલક ચિંતિત બન્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગર્ભમાં વાછરડું ઊંધું ફસાઈ જવાને કારણે સામાન્ય પ્રસૂતિ શક્ય નહોતી. પશુપાલકે તાત્કાલિક 1962 કાર્યક્રમ, જામનગરના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જ ડૉ. મોહમ્મદ શોએબ ખાન, ડૉ. રમીઝ બલોચ, કરુણા જામનગરના પશુચિકિત્સક ડૉ. ભાગીરથ તથા પાયલોટ ભગવાનભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ટીમે આશરે બે કલાક સુધી સતત અને કુશળ સારવાર આપી ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. ગાયને પીડામાંથી મુક્તિ મળતાં પશુપાલકે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવા, કરુણા સંસ્થા તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.કેસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પિયુષ પરમાર તથા પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાને ડૉ. રમીઝ બલોચ, ડૉ. ભાગીરથ, પાયલોટ ભગવાનભાઈ તેમજ કરુણા જામનગરની સમગ્ર ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application