આઈ.ટી.આઈ. જામનગર દ્વારા ‘કૌશલ્ય ગૌરવ સન્માન’ તથા એલ્યુમની મીટ યોજાઈ
વર્ષ ૧૯૫૭થી કૌશલ્યવર્ધન થકી રોજગારી પૂરી પાડતી આઈ.ટી.આઈ. જામનગર દ્વારા ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાયું
જામનગર તા.૨૭, ગુજરાત રાજ્યમાં કૌશલ્ય નિર્માણ કરતી અગ્રણી સંસ્થાઓ પૈકીની એક એવી ઔદ્યોગિક સંસ્થા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા સંસ્થાના પ્રાંગણમાં ‘કૌશલ્ય ગૌરવ સન્માન’ તથા ભૂતપૂર્વ તાલીમાર્થી સમ્મેલન યોજાયુ. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૭થી અવિરતપણે યુવાનોને સ્કીલ આધારિત તાલીમ આપી રોજગારી ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ પ્રેરણાદાયી સમ્મેલનમાં આઈ.ટી.આઈ. જામનગરના વિવિધ ટ્રેડના ભૂતપૂર્વ પાસ આઉટ તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને લાગણીસભર હાજરી આપી હતી. પોતપોતાના ક્ષેત્રે કારકિર્દીમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા ‘કૌશલ્ય ગૌરવ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ મેળવનાર તમામ સફળ ઉમેદવારોએ પોતાની સફળતાનો શ્રેય સંસ્થાને આપતાં પ્રત્યક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ ગીતા મશીન ટુલ્સના મેનેજિંગ ડિરેક્ટર સરદારસિંહ જાડેજા તથા વેંકટેશ એન્જિનિયરિંગ વર્ક્સના ડિરેક્ટરે સાબુની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મંચસ્થ મહાનુભાવો તેમજ પાસ આઉટ તાલીમાર્થીઓએ આ પ્રકારના ઉત્કૃષ્ટ આયોજન બદલ સમગ્ર આઈ.ટી.આઈ. જામનગર પરિવારને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય આર.એસ. ત્રિવેદીએ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષો, ઉદ્યોગપતિઓ તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થીઓનો કાર્યક્રમમાં હાજરી આપી તેને યાદગાર બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.