રાજકોટ શહેરના માધાપર ચોકડી વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, દરોડા દરમિયાન અંદાજે બે ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો હોવાનું કહેવાય છે. ઝડપાયેલો જથ્થો હલકો અને શંકાસ્પદ ગુણવત્તાનો હતો, આ સૂકો મેવો આઇસક્રીમ, ગોલા, કુલ્ફી સહિતની ઠંડી ખાદ્ય વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાળાની સીઝનમાં આઇસક્રીમ, ગોલા અને કુલ્ફીની માંગ વધતી હોય છે, ત્યારે આવા અખાદ્ય સામાનનો ઉપયોગ લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે. ફૂડ વિભાગ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે.
આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી તેનો ઉપયોગ થતો હતો. ફૂડ વિભાગ હવે સપ્લાય ચેઇન અને સંકળાયેલા વેપારીઓ અંગે વધુ તપાસ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. મહાપાલિકા તંત્ર ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરશે તેમ જાણવા મળે છે.