BREAKING NEWS

ભારે વરસાદથી પાવાગઢ ડુંગર પરથી પથ્થરો ધસી પડ્યા, યાત્રાળુઓ દટાતા બેનાં મોત; પાંચ ગંભીર રીતે ઘાયલ

  • June 19, 2026 05:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પરથી આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડુંગર પર આવેલા જાણીતા પાટિયાપુલ નજીક અચાનક પહાડ પરથી ભારેખમ પથ્થરો નીચે ધસી પડવાને કારણે દર્શન કરવા જઈ રહેલા કેટલાક શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા છે. આ કુદરતી આફતમાં બે કમનસીબ યાત્રિકોના મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે પથ્થરોના કાટમાળ નીચે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા અન્ય પાંચ જેટલા લોકોને હાલોલ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ જીવતા રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે.


મળતી માહિતી અનુસાર, ચોમાસાના આગમાન સાથે જ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગર પર ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો અને તીવ્ર બની ગયો હતો. પાણીના આ ધસમસતા પ્રવાહને લીધે પહાડની માટી ધોવાઈ ગઈ હતી, જેના કારણે અચાનક વિશાળ પથ્થરો અને ભેખડ ધસી પડી હતી. બરાબર એ જ સમયે પાટિયાપુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો કંઈ સમજે તે પહેલાં જ આ કાટમાળની ચપેટમાં આવી ગયા હતા. પહાડ પરથી કડાકાભેર પથ્થરો નીચે ધસી આવતા જ ઘટનાસ્થળે અફરાતફરી, દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.


આ ભયાનક ઘટનાની જાણ થતાં જ ડુંગર પર કાર્યરત રોપ-વેની ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ અને હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે તમામ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પથ્થરો અને કાટમાળ નીચે દબાયેલા માનવજીવનોને બચાવવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ વહેલી સવારના કપરા સમયમાં અને ભારે પથ્થરો વચ્ચે પોતાની જાન જોખમમાં મૂકીને કાટમાળ નીચે ફસાયેલા ૫ લોકોને સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.


કાટમાળમાંથી જીવતા બહાર કઢાયેલા પાંચેય શ્રદ્ધાળુઓને નાની-મોટી અને ગંભીર ઈજાઓ થઈ હોવાથી, તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક વધુ સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. આ દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે બચાવ કામગીરીમાં સક્રિય મદદ કરી હતી અને અન્ય શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

નોંધનીય છે કે, ગઈકાલથી જ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસી રહેલા વરસાદ વચ્ચે સર્જાયેલી આ અણધારી આફતથી માતાજીના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં તંત્ર દ્વારા ડુંગર પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application