ચોટીલા નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા જામજોધપુર પંથકના અને રાજકોટમાં રહી કામધંધો કરતા બે પિતરાઈ ભાઈઓના ગંભીર ઇજા થવાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બંને યુવકો સુરેન્દ્રનગરના પીપળીધામ રામદેવપીરના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રામાપીર ચોકડી પાસે રહેતા અને મૂળ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વતની જતિન રણછોડભાઈ ભલસોડ (ઉ.વ.27) અને પિતરાઈ ભાઈ મયુર ભવાનભાઈ ભલસોડ (ઉ.વ.25) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ બાઈક ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક પીપળીધામ જવા નીકળ્યા હતા. મંદિરે રાત્રી રોકાણ કરી વહેલી સવારે રામદેવપીરના દર્શન કરી રાજકોટ આવવા નીકળ્યા હતા. વહેલી સવારે ચોટીલાના સાંગાણી ગામ નજીક આવેલી બલદેવ હોટલ પાસે પહોંચતા સામેથી આવતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બંને ભાઈઓ બાઈક સમેત રોડ દૂર સુધી ફંગોળાતા બંનેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા બંનેને ચોટીલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં મયુરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને જતિનની હાલત વધુ ગંભીર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે જતિને પણ દમ તોડી દીધો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મયુર રાજકોટમાં પિતરાઈ જતીન સાથે રહી કન્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝરનું કામ કરતો હતો. અને બે બહેન બે ભાઇમાં નાનો હતો. જ્યારે જતીનને રામાપીર ચોકડી પાસે રીપાવરિંગ, બ્લોક બેરિંગના વાહનનું ગેરેજ છે. અને બે બહેનનો એકનો એક ભાઈ હતી. બંને પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં ભારે કલ્પાત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application