રાજકોટ શહેરમાં આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં અને તેમની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 'શ્રી વિજયભાઈ રૂપાણી ફાઉન્ડેશન' દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિશેષ રૂપે કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાંઝા તેમજ સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓ પણ આ કેમ્પમાં સહભાગી થયા હતા. સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી સાધારણ નાગરિકો માટે આરોગ્યની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે સાંસદ પરસોત્તમ રૂપાલાએ ગાંધીનગરમાં વીજ પોલ અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા યોજાનારી ટ્રેક્ટર રેલીના મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. ખેડૂતોની સમસ્યાઓ અને આંદોલન અંગે પક્ષ રાખતા તેમણે જણાવ્યું હતું કે, "આ પ્રશ્ન ખૂબ ગંભીર છે અને મેં પોતે ગઈકાલે જ રાજ્યના કૃષિ મંત્રી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા-વિચારણા કરી છે."
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી પણ ખેડૂતોની આ તમામ મુશ્કેલીઓ અને વણઉકેલાયેલા બાબતોથી સંપૂર્ણપણે માહિતગાર છે. રાજ્ય સરકાર હંમેશાં ધરતીપુત્રોના હિતમાં નિર્ણયો લેવા માટે કટિબદ્ધ રહી છે. હાલ સરકાર દ્વારા એવી ચોક્કસ અને હકારાત્મક નીતિ બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે, જેનાથી ખેડૂતોને કોઈપણ પ્રકારનું આર્થિક કે અન્ય નુકસાન ન ભોગવવું પડે.

અંતમાં, મીડિયાના માધ્યમથી ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરતાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સરકાર વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો સુખદ અને કાયમી ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. આપણા અન્નદાતા ખોટી રીતે હેરાન ન થાય તે માટે વહીવટી તંત્ર ચોક્કસ આયોજન કરશે, તેથી તમામ ખેડૂત મિત્રોને સંયમ જાળવી રાખવા માટે તેઓ વિનંતી કરે છે.