દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયાના હર્ષદપુર ગામના હાપી વાડી વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય યુવાન કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં આવેલા એક એલએનજી પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનામાં કરુણ મૃત્યુ નીપજ્યાનું સામે આવ્યું છે. આ અણધારી અને આઘાતજનક ઘટનાને પગલે ખંભાળિયાના સમગ્ર સતવારા સમાજ સહિત સ્થાનિક પંથકમાં ભારે ગમગીની અને શોકની લાગણી ફરી વળી છે. કમાઉ દીકરાએ વિદેશની ધરતી પર જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કિરીટભાઈ કણજારીયા છેલ્લા બે વર્ષથી પોતાના પરિવારના સારા ભવિષ્ય અને આર્થિક ભરણપોષણ માટે વિદેશમાં રોજગારી અર્થે ગયા હતા અને કતારના એક એલએનજી પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. ગત રવિવારે પ્લાન્ટમાં અચાનક એક મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં કિરીટભાઈ ગંભીર રીતે તેની ચપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થયું હતું.
મૃતક કિરીટભાઈ ખૂબ જ મહેનતુ અને સરળ સ્વભાવના યુવાન હતા. તેઓ બે ભાઈઓમાં નાના હતા અને પોતાના પરિવારની આર્થિક જવાબદારીઓ ઉપાડવા વિદેશ ગયા હતા. તેઓ દર ત્રણ-ચાર મહિના કતારમાં નોકરી કર્યા બાદ આઠ-દસ દિવસ માટે પોતાના વતન ખંભાળિયા ખાતે પરિવારને મળવા ભારત આવતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે માસૂમ સંતાનો છે, જેમાં એક છ વર્ષનો દીકરો અને એક માત્ર દોઢ વર્ષની નાની દીકરી છે. પિતાની છત્રછાયા ગુમાવતા આ માસૂમ બાળકો અને પત્ની પર વજ્રઘાત થયો છે.
આ દુઃખદ ઘટનાની જાણ વતનમાં થતાં જ હર્ષદપુરના અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ તેમજ હાપી વાડીના આગેવાન દામજીભાઈ ચોપડા સહિતના સામાજિક અગ્રણીઓએ ઘેરા શોકની અભિવ્યક્તિ કરી છે. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા એવી માંગ અને ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ગરીબ અને આશ્રિત પરિવારની વ્હારે આવીને રાજ્ય સરકાર તેમને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે, જેથી માસૂમ બાળકોનું ભવિષ્ય અટકી ન પડે.
બીજી તરફ, મૃતકના પરિવારજનો દ્વારા સરકારી તંત્રની મદદથી કિરીટભાઈના પાર્થિવ દેહને કતારથી ભારત લાવવા માટેની જરૂરી કાનૂની અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર બાબતે ખંભાળિયાના સતવારા જ્ઞાતિના યુવા અગ્રણી અને રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાએ તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. તેમણે દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં સત્તાવાર રજૂઆત કરી છે કે આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે જેથી કિરીટભાઈનો મૃતદેહ વહેલી તકે વતન પહોંચાડી શકાય. સત્તાધારી સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી શનિવાર સુધીમાં તેમનો પાર્થિવ દેહ ખંભાળિયા તેમના વતન પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે.