ગીર સોમનાથ અને સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત યથાવત રહી છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે નદીઓ, નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક વધી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે માંગરોળ, સુત્રાપાડા, કેશોદ સહિતના વિસ્તારોમાં 11થી 13 ઇંચ સુધી વરસાદ નોંધાયા બાદ આજે સવારે પણ મેઘસવારી યથાવત રહેતા અનેક વિસ્તારોમાં ફરી બે થી છ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
આજે બપોરે 2 વાગ્યા સુધીના આંકડા મુજબ વેરાવળ-પાટણ પંથકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાતા જનજીવન ઉપર અસર જોવા મળી હતી. શહેરના અનેક માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. માંગરોળ અને માળીયાહાટીના પંથકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે વંથલી અને મેંદરડામાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદ અને સુત્રાપાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નાના નાળા-કોતરોમાં પણ નવા નીરની આવક થઈ હતી.
આ ઉપરાંત તાલાલા સહિત ગીર પંથકના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખરીફ પાક માટે જરૂરી ભેજ અને પાણીની પૂરતી ઉપલબ્ધિ સર્જાઈ રહી છે. બીજી તરફ, સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ ગ્રામ્ય માર્ગો પર અવરજવર ધીમી બનવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
હવામાનમાં હજુ પણ ભારે ભેજ અને વાદળછાયું વાતાવરણ યથાવત હોવાથી આગામી કલાકોમાં પણ ગીર સોમનાથ અને સોરઠના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદની આ ગતિ યથાવત રહેશે તો જળાશયો, ડેમો અને નદીઓમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની સંભાવના છે.